fbpx
Wednesday, October 23, 2024

જાણો તમે કયા ગ્રહની ખરાબ અસરથી પરેશાન છો? સરળ ઉપાયથી મળી જશે ઉકેલ!

અશુભ ગુરુના લક્ષણ

જો તમારી જન્મ કુંડળીમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ અસ્ત હોય, અશુભ હોય , ખરાબ અસર અથવા તો પાપગ્રહની સાથે હોય તો દીનચર્યામાં અનેક મુસીબતો આવશે. તમે બીજાને શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા તો આપશો, પરંતુ, તમારું પોતાનું જ રુટીન સરખું નહીં હોય ! આ સંજોગોમાં ગુરુ ગ્રહની દશાને સુધારવા માટે નાના-નાના પ્રયોગોનો અમલ અત્યંત જરૂરી બની જાય છે.

ગુરુ દોષ નિવારણના ઉપાય

⦁ જે લોકો ગુરુની અશુભ અસરથી પીડિત છે, તેમણે ખાસ કરીને પીપળાના વૃક્ષની સેવા પૂજાને તેમના નિત્યકર્મમાં સામેલ કરી દેવી જોઈએ. આ ઉપાય ચોક્કસપણે લાભદાયી સાબિત થશે.

⦁ દરરોજ સવારે ઉઠતા જ બંને પગને સાથે જ જમીન પર મૂકવા જોઈએ.

⦁ પોતાના ઓશીકા અને ચાદરને સવારે ઉઠો એટલે વ્યવસ્થિત વાળીને મૂકવા.

⦁ સવારે ઊઠો એટલે તમારા ઘરમંદિર તરફ થોડીવાર સુધી જોયા કરવું.

⦁ નિત્ય સવારે પરિવારના વડીલોને વંદન કરવા.

⦁ આ દરેક ઉપાયને તમારા નિત્યકર્મમાં સામેલ કરી દેશો તો ગુરુ ગ્રહની સારી અસર તમારા જીવન ઉપર ચોક્કસથી જોવા મળશે.

અશુભ ચંદ્રના લક્ષણ

જો તમારી કુંડળીમાં ચંદ્રમા નબળો હોય તો તમે હંમેશા તમારી માતા સાથે કોઇને કોઇ વાતે વિવાદ કરતા હશો ! બાથરૂમ-ટોઇલેટમાં પાણીનો બગાડ કરશો. ચંદ્રની અશુભ અસર જેમના પર છે, તેવી વ્યક્તિઓ પાણીનો પુષ્કળ બગાડ કરતી હોય છે. તેમજ, દિવસ દરમિયાન ખૂબ જ ઓછું પાણી પીતી હોય છે. જે પાણીની બરબાદી કરે છે, તે દરિદ્ર જ રહે છે ! એટલે કે હંમેશા જ અભાવગ્રસ્ત રહે છે !

ચંદ્ર દોષ નિવારણના ઉપાય

પાણીનો બગાડ બિલકુલ ન કરો.

જમતી વખતે પાણી પીવાનું ટાળો. શક્ય હોય તો બિલકુલ જ ન પીવો !

રાત્રે દૂધ ન પીવું જોઇએ. અને જો પીવું પડે તેમ હોય તો દૂધ પીવાના 2 કલાક પછી જ ઊંઘવું જોઈએ.

અશુભ સૂર્યના લક્ષણ

⦁ શહેરોમાં મોડા ઉઠવું એક રુટીન બની ગયુ છે. મોટાભાગના લોકો ઉગતા સૂર્યને જોતા જ નથી ! પણ, જેમની કુંડળીમાં સૂર્ય અશુભ છે તેમનું તો આ પ્રમુખ લક્ષણ બની જાય છે !

⦁ આવી વ્યક્તિઓના તેમના પિતા સાથેના સંબંધો પણ સારા નથી હોતા !

⦁ અશુભ સૂર્ય ધરાવતી વ્યક્તિને જો જીવનમાં સફળતા મળી જાય અથવા તે પૈસાવાળી બની જાય, તો પણ, કેટલાંક કર્મો અને વિચારોના કારણે રોગ તેમનો પીછો નથી છોડતા !

⦁ આવી વ્યક્તિને આંખો સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે !

⦁ તેમને સરકાર તરફથી પણ સમસ્યાઓ વધી શકે છે. આ સ્થિતિમાં વ્યક્તિએ કેટલાક પરિવર્તન કરવા ખૂબ જ જરૂરી બની જાય છે.

સૂર્ય દોષ નિવારણના ઉપાય

⦁ રાત્રે વહેલા સૂઇ જવું અને સવારે વહેલા ઉઠવું જોઈએ. સવારે આંખ ખુલ્યા બાદ તરત જ પથારી ન છોડવી. થોડા સમય માટે પથારી પર જ બેસવું અને ત્યારબાદ ઉગતા સૂર્યને નિહાળવો.

⦁ નિત્ય પિતાના આશીર્વાદ લઇને જ ઘરેથી નીકળવું જોઈએ.

⦁ ઉપરોક્ત ઉપાયો કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ સૂર્ય ગ્રહ સારી અસર આપશે. તેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

⦁ સૂર્યના વૈદિક મંત્રની ઓછામાં ઓછી 10 માળા 31 દિવસ સુધી કરવાથી વ્યક્તિના ચહેરાનું આભામંડળ બદલાઇ જાય છે. અને તેને સૂર્યના શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles