રુદ્રાક્ષનો અર્થ થાય છે રુદ્રનું અક્ષ, એટલે કે શિવજીના આંસુ ! પ્રચલિત કથા અનુસાર શિવજીના અશ્રુબિંદુમાંથી રુદ્રાક્ષનું પ્રાગટ્ય થયું હતું. એ જ કારણ છે કે રુદ્રાક્ષને સ્વયં શિવ રૂપ માનવામાં આવે છે. આમ તો 1 મુખીથી લઈને 21 મુખી સુધીના રુદ્રાક્ષ જોવા મળે છે. જેમાં 11 પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવાનું વિશેષ મહત્વ છે.
કહે છે કે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને વિવિધ સમસ્યામાંથી મુક્તિના આશીર્વાદ મળે છે. પણ, સૌથી મહત્વની વાત એ છે કે જો તમે તમારા પ્રોફેશન અનુસાર એટલે કે તમારા વ્યવસાયને અનુરૂપ રુદ્રાક્ષ ધારણ કરો છો તો તે તમારી કારકિર્દી માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. વ્યવસાયને અનુરૂપ રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિની કારકિર્દીને વેગ મળે છે. આવો, આજે તે વિશે જ જાણીએ.
વ્યવસાયિક જીવન અને રુદ્રાક્ષ !
⦁ નેતા, મંત્રી, વિધાયક, સાંસદ કે હોટલ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓએ 1 મુખી અથવા તો 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
⦁ માન્યતા અનુસાર ન્યાયાધીશની ફરજ બજાવનાર વ્યક્તિ માટે 2 મુખી અથવા તો 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો વધુ લાભદાયી સાબિત થાય છે.
⦁ વકીલના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિએ 4 મુખી અથવા તો 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
⦁ બેન્ક મેનેજર, એમબીએ કરનાર કે પછી મેનેજમેન્ટના અધિકારીઓએ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. ગૌરીશંકર રુદ્રાક્ષ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે લાભપ્રદ બની રહે છે.
⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાઉન્ટન્ટે 4 મુખી કે પછી 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ. એ જ રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે 8 મુખી કે પછી 12 મુખી રુદ્રાક્ષ વધુ લાભદાયી સાબિત થઈ શકે છે.
⦁ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેમજ કમ્પ્યૂટર અધિકારીઓએ 9 મુખી કે 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
⦁ સેના કે પોલીસ વિભાગ સાથે જોડાયેલ લોકોએ 4 મુખી કે 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
⦁ ડોકટર્સ માટે 9 મુખી કે 11 મુખી રુદ્રાક્ષ ખૂબ જ ફળદાયી સાબિત થતો હોય છે.
⦁ દવા વિક્રેતા, બિલ્ડર અને પ્રોપર્ટી ડિલરે 1 મુખી કે 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
⦁ મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલ લોકોએ 10 મુખી કે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
⦁ સિવિલ એન્જીનીયર માટે 8 મુખી કે 14 મુખી રુદ્રાક્ષ ફાયદાકારક બની રહે છે.
⦁ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ એટલે કે પ્રોફેસર કે ટીચરે 6 મુખી અથવા 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
⦁ ક્લાર્ક, ટાઇપિસ્ટ તેમજ પત્રકારે 8 મુખી કે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો.
⦁ સંગીતકાર અને કવિઓએ 9 મુખી કે 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો.
⦁ સરકારી કર્મચારીઓ માટે 1 મુખી કે 5 મુખી રુદ્રાક્ષ ફાયદાકારક સાબિત થાય છે.
⦁ જ્યોતિષનું કાર્ય કરનાર લોકો તેમજ પૂજા-પાઠ કરાવનાર કર્મકાંડીઓ માટે 5 મુખી રુદ્રાક્ષ લાભદાયી બની રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)