fbpx
Sunday, October 27, 2024

ચૈત્ર નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન સમયે રાશિ પ્રમાણે આપો આ ભેટ, મા દુર્ગા પણ દૂર કરશે કુંડળીના દોષ!

નવરાત્રીના દિવસોમાં કન્યા પૂજનનો સવિશેષ મહિમા રહેલો છે. ખાસ કરીને આઠમ અને નોમના દિવસોમાં કન્યા પૂજનનું અદકેરું મહત્વ રહેલું છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે.

તમે પણ નાની બાળાઓને ઘરે બોલાવી તેમને ભોજન કરાવી ભેટ આપવાનું વિચારી રહ્યા હશો. તો તમને જણાવી દઈએ કે જો તમે આ કન્યાઓને તમારી રાશિ પ્રમાણે ભેટ આપો છો, તો તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તમારા ઘરમાં શુભત્વનું તો આગમન થાય જ છે, સાથે જ કુંડળીમાં રહેલાં દોષો પણ દૂર થાય છે. આવો, આજે તે વિશે વિગતે જાણીએ.

કન્યા પૂજન મહિમા

ક્ન્યા પૂજન વિના નવરાત્રીની પૂજા અપૂર્ણ માનવમાં આવે છે. ખાસ તો નવરાત્રીની નોમના દિવસે કન્યા પૂજન કરીને માતાને વિદાય કરવામાં આવે છે. આ પૂજનમાં બે વર્ષથી લઇને 10 વર્ષ સુધીની કન્યાઓને આમંત્રણ આપીને તેમનું પૂજન અને સત્કાર કરવામાં આવે છે. તેમને ભોજન કરાવવામાં આવે છે. કન્યાઓની સાથે એક બાળકને બટુક ભૈરવના રૂપમાં પૂજવામાં આવે છે. માન્યતા એ છે કે કન્યા પૂજનમાં આવનાર દરેક કન્યા પોતાની સાથે સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ લઇને આવે છે. સાથે જ ગ્રહ-નક્ષત્રના દોષોમાંથી પણ મુક્તિ અપાવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રાશિ અનુસાર કન્યાઓને કેટલીક વસ્તુઓ દાન કે ભેટના રૂપમાં આપવામાં આવે તો આપની દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થાય છે અને કુંડળીમાં રહેલ દરેક ગ્રહ નક્ષત્રોનું શુભ ફળ મળે છે.

મેષ અને વૃશ્ચિક રાશિ

મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી એક છે અને એ છે મંગળ. એટલે આ રાશિના જાતકોએ કન્યા પૂજનમાં લાલ રંગની વસ્તુઓ ભેટ કરવી જોઇએ. લાલ રંગની વસ્તુઓ જેમ કે લાલ પુસ્તક, લાલ બંગડી, લાલ વસ્ત્ર, પેન્સિલ, ફળ વગેરે વસ્તુઓ ભેટ કરી શકાય છે. સાથે જ કન્યા પૂજન બાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઇએ. આ ઉપાય કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત નથી રહેતી અને મંગળ ગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

વૃષભ અને તુલા રાશિ

વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે શુક્ર, એટલે કન્યા પૂજનમાં આ રાશિના જાતકોએ મખાના, દાડમ કે પછી રમકડા આપવા જોઈએ. સાથે જ વસ્ત્ર અને ધનની ભેટ પણ કન્યાઓને અને બટુકને આપી શકાય છે. સુખ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કન્યા પૂજન બાદ ઘરમાં જેટલા પણ સભ્ય છે તેટલા વૃક્ષોનું રોપણ કરવું ફળદાયી બની રહેશે. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને શુક્ર ગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

મિથુન અને કન્યા રાશિ

મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. આ રાશિના જાતકોએ કન્યા પૂજનમાં લીલા રંગનો ઉપયોગ કરવો જોઇએ અને લીલા રંગની વસ્તુઓ ભેટમાં આપવી જોઇએ. જેમ કે લીલા રંગના વસ્ત્ર, ફળ, બંગડી, રૂમાલ વગેરે વસ્તુઓની ભેટ કન્યાઓને આપવી જોઇએ. કન્યા પૂજન બાદ આપ આ રંગની વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોમાં દાન પણ કરી શકો છો. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી બુધ ગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ગ્રહ છે ચંદ્ર. એટલે આ રાશિના જાતકોએ કન્યા પૂજનમાં મખાના અથવા દૂધથી બનેલી મીઠાઈ ભેટ કરવી જોઇએ. સાથે જ આપે દુર્ગા સપ્તશતીના પાઠ કરવા અને માતાજીને સફેદ રંગના પુષ્પ અર્પણ કરવા જોઇએ. આ ઉપાય કરવાથી આપની કુંડળીમાં રહેલ ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે અને આપને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વમી ગ્રહ છે સૂર્ય. સૂર્ય દરેક ગ્રહોનો રાજા છે. એટલે આ રાશિના જાતકોએ કન્યા પૂજનમાં નારિયેળ, ધાર્મિક પુસ્તકો, વસ્ત્ર, સૂકા મેવા, મીઠાઈ વગેરે વસ્તુઓ ભેટ કરવી જોઇએ. સાથે જ માતાની પૂજા બાદ લલિતા સહસ્ત્રનામ અને સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે માતાને ખીરનો ભોગ અર્પણ કરવો. આ ઉપાય કરવાથી નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિ મળે છે અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે.

ધન અને મીન રાશિ

ધન અને મીન રાશિનો સ્વામી ગ્રહ છે ગુરુ. એટલે કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવ. આ રાશિના જાતકોએ કન્યા પૂજનમાં પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઇએ. જેમ કે પીળા રંગના વસ્ત્ર, ફળ, રૂમાલ, ચુંદડી. સાથે જ આપે શિક્ષણ સંબંધિત વસ્તુઓની ભેટ પણ આપવી જોઇએ. આ રાશિના જાતકોએ માતાની પૂજા બાદ રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે અને કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે.

મકર અને કુંભ રાશિ

મકર અને કુંભ રાશિના સ્વામી છે શનિદેવ. એટલે આ રાશિના જાતકોએ કન્યા પૂજનમાં વાદળી રંગની વસ્તુઓ દાનમાં આપવી જોઇએ. સાથે જ આપ લાલ રંગનો ઉપયોગ પણ કરી શકો છો. વાદળી કે લાલ રંગના વસ્ત્ર, રમકડાં, ફળ, પુસ્તકોની સાથે આપ નારિયેળ કે ધનની ભેટ પણ આપી શકો છો. માતાની પૂજા બાદ દેવી કવચનો પાઠ કરવો અને નવાર્ણ મંત્રનો જાપ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles