fbpx
Saturday, October 26, 2024

રસોડામાં તમાલપત્ર તમારા ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે! જાણો, તમાલપત્ર કેવી રીતે આપશે પ્રગતિ?

જીવનમાં ઘણીવાર એવું બને છે કે આર્થિક, માનસિક સમસ્યાઓ સતત સતાવતી જ રહેતી હોય છે ! ગમે તેટલું કરીએ પણ તે પીછો જ નથી છોડતી. તમને કદાચ નવાઈ લાગશે પણ તેમાંથી મુક્તિ માટેનો ઉપાય તમારા ઘરમાં જ છૂપાયેલો છે !જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસોડામાં રહેલા મસાલાઓ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરીને ઘરમાં સુખ સમૃદ્ધિના આગમનનું નિમિત્ત બની શકે છે !

આ મસાલાઓમાંથી જ એક છે તમાલપત્ર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમાલપત્રનો કે તેજપત્તાનો આ ઉપાય કરવાથી વ્યકિતના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. તમાલપત્ર વ્યક્તિની તરક્કી કરાવી શકે છે. સાથે જ તે નજરદોષ, ખરાબ સપનાઓથી પણ વ્યક્તિને છુટકારો અપાવી દે છે. કહે છે કે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અકબંધ રાખવા માટે તમાલપત્રના આ ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ. આવો, આજે આપણે પણ તેના વિશે વિગતે માહિતી મેળવીએ.

સુખી દાંપત્યજીવન અર્થે

દાંપત્યજીવનમાં જો સમસ્યા ચાલી રહી હોય અને પતિ-પત્ની વચ્ચે સતત અણબનાવ રહેતો હોય તો તમાલપત્રનો આ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ. અણબનાવને દૂર કરવા માટે નિત્ય બે તમાલપત્ર લઇને તેને સળગાવી દેવા જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પતિ-પત્નીના સંબંધો મધુર બને છે અને ઘરમાં સદાયને માટે ખુશીઓ જ ખુશીઓ અકબંધ રહે છે.

નજરદોષથી મુક્તિ અર્થે

પરિવારજનો વચ્ચે જો સતત તણાવ રહેતો હોય, કોઈ સતત બીમાર રહેતું હોય અથવા તો આપના કામધંધામાં કોઈને કોઈ વિઘ્નો આવતા જ રહેતા હોય, તો આવું નજરદોષના કારણે પણ બનતું હોય છે. આ સંજોગોમાં તમાલપત્રનો ઉપયોગ એકદમ કારગત સાબિત થઈ શકે છે. આ નજરદોષથી મુક્તિ મેળવવા માટે સાત તમાલપત્ર અને એક ચમચી મીઠું લો. તેને માથા ઉપરથી 7 વખત વાળી લો. ત્યાર બાદ કોઇની સાથે કંઇપણ બોલ્યા વિના કોઇ નિર્જન સ્થાન પર જઇને તેને ફેંકી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપનું ઘર, નોકરી-ધંધા કે પછી ઘરનું કોઈ સભ્ય જો નજરદોષથી પીડાઇ રહ્યું હોય તો તેમાંથી તેને મુક્તિ મળે છે. તેમજ નોકરી-ધંધામાં તરક્કીના યોગ પ્રબળ બને છે.

ધનલાભ અર્થે

જો ખોટા રસ્તે ધનનો વ્યય થતો હોય કે પછી ગમે તે કારણસર ઘરમાં પૈસા ટકતા ન હોય તો શુક્રવારના દિવસે એક તમાલપત્ર લઇને માતા લક્ષ્‍મીના ચરણોમાં તેને અર્પણ કરી દો. ત્યારબાદ માતા લક્ષ્‍મીની વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરો. અંતમાં તે જ તમાલપત્ર લઇને તેને પોતાના પર્સમાં રાખી લો. કહે છે કે આ ઉપાય કરવાથી આપને ક્યારેય ધનની અછતનો સામનો નહીં કરવો પડે અને માતા લક્ષ્‍મી હંમેશા જ આપનું પર્સ રૂપિયાથી ભરેલું રાખશે !

કાર્યમાં સફળતા અર્થે

તમે કોઇ કાર્ય કરવા જઇ રહ્યા હોવ અને તેમાં કોઇને કોઇ પ્રકારના અવરોધ આવી રહ્યા હોય અથવા તો આપના કાર્ય પૂર્ણ થવાની અણી પર હોય અને અચાનક અટકી જાય તેવું બનતું હોય તો આ ઉપાય તમારે જરૂરથી અજમાવવો જોઈએ. આ સંજોગોમાં શનિવારના દિવસે પાંચ તમાલપત્ર અને પાંચ કાળા મરી લઇને તેને સળગાવી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી કાર્ય આડેના તમામ અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને સફળતાની પ્રાપ્તિ થાય છે.

ભયાનક સપનાથી મુક્તિ અર્થે

ભયાનક સપનાઓ હંમેશા જ લોકોને ડરાવતા હોય છે. જો તમને આવા સપના વારંવાર આવતા હોય અને તેનાથી ગભરાઈને તમે વારંવાર ઊંઘમાંથી ઊઠી જતા હોવ તો નિત્ય રાત્રે એક કામ અચૂક કરો. આપના તકિયાની નીચે એક તમાલપત્ર રાખી દો. કહે છે કે આ ઉપાય કરવાથી આપને ડરામણાં સપનાઓ આવવાનું બંધ થઇ જશે અને તમે નિરાંતે ઊંઘી શકશો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles