fbpx
Sunday, October 27, 2024

અક્ષય તૃતીયાનો આ ઉપાય દામ્પત્ય જીવનમાં મધુરતા લાવશે! જાણો, કેવી રીતે દૂર થશે પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ?

આજે અખાત્રીજનો અવસર એટલે તો વણજોયું મુહૂર્ત ! આ દિવસ આમ તો નવા ધંધાની શરૂઆત માટે, નવા ઘરની ખરીદી માટે, સુવર્ણની ખરીદી માટે તેમજ નવા સંબંધની શરૂઆત માટે ફળદાયી મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે, તેમાં વ્યક્તિને સફળતા જરૂરથી મળે છે. તો, અન્ય એક માન્યતા અનુસાર આ દિવસ દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે પણ ફળદાયી સાબિત થાય છે !

જો પતિ-પત્ની વચ્ચે સતત અણબનાવ રહેતો હોય, સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય તો આજે અખાત્રીજે કેટલાંક ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ. કહે છે કે આ ઉપાયોથી દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય જળવાયેલું રહેશે. તો ચાલો, આપણે પણ મનભેદ દૂર કરનારા આ ઉપાયો વિશે જાણીએ.

વિશેષ રંગના કપડા ધારણ કરવા

જો આપ લગ્ન જીવનમાં મધુરતા લાવવા ઇચ્છતા હોવ તો આજે અક્ષય તૃતીયા પર પતિ-પત્નીએ કેટલાક વિશેષ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આપ જો આ દિવસે ગુલાબી અને કેસરી રંગના વસ્ત્ર ધારણ કરો છો, તો આપના જીવનમાં સૌહાર્દ અકબંધ રહેશે. મુખ્યત્વે અક્ષય તૃતીયાના દિવસે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, તેને પ્રેમનો રંગ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો જ ધારણ કરવા.

રુદ્રાભિષેક કરો

માન્યતા અનુસાર જો તમે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરો છો, તો આપના દાંપત્ય જીવનમાં સદૈવ પ્રેમ અકબંધ રહે છે. આ માટે આપે આપના જીવનસાથી સાથે મળીને શિવજીનો રુદ્રાભિષેક કરવો જોઈએ. કહે છે કે પતિ-પત્ની બંન્ને એકસાથે શિવાલયમાં જઈને જો રુદ્રાભિષેક કરે છે, તો તે આપના માટે અત્યંત ફળદાયી સાબિત થશે. રુદ્રાભિષેક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપકર્મમાંથી મુક્તિ મળે છે. તેમજ આપના સંબંધ વધુ સારા બને છે. જો તમે મંદિરમાં નહીં અને ઘરમાં રુદ્રાભિષેકનું આયોજન કરો છો, તો તેનાથી આપના ઘરમાં પણ સકારાત્મકતા જળવાયેલી રહે છે.

ગૌરી શંકરની પૂજા કરો

⦁ અક્ષય તૃતીયાના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને ગૌરી અને શંકરની પૂજા કરવી જોઇએ. તો તેનાથી સમગ્ર વર્ષ દરમ્યાન આપના સંબંધમાં મધુરતા જળવાયેલી રહેશે. આપ નજીકના મંદિરમાં જઇને પણ વિધિ-વિધાન પૂર્વક શિવપાર્વતીનું પૂજન કરી શકો છો.

⦁ પરિણીત સ્ત્રીઓએ માતા પાર્વતીને એટલે કે ગૌરીને લાલ સિંદૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી લગ્ન જીવનમાં ખુશીઓનું આગમન થશે.

⦁ જો આપના લગ્ન નથી થયા અથવા તો કોઇ કારણસર આપના લગ્નમાં અવરોધ આવી રહ્યા હોય તો એક વાત ધ્યાનમાં રાખવી કે માતા ગૌરીની પૂજા કરતી વખતે તેમને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી જોઇએ.

આ મંત્રનો કરો જાપ

અક્ષય તૃતીયાના દિવસે જો તમે માતા ગૌરીને સિંદૂર અર્પણ કરતી વખતે “ૐ ગૌરી શંકરાય નમઃ” મંત્રનો જાપ કરો છો, તો આપના માટે તે વિશેષ રૂપે ફળદાયી સાબિત થાય છે. આ દિવસે શિવલિંગને જળાભિષેક કરતી વખતે “ૐ નમઃ શિવાય” મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. આ મંત્રના જાપ કરવાથી આપનું શુભ થશે અને આપ તથા આપના જીવનસાથીની વચ્ચે સામંજસ્ય જળવાયેલું રહેશે.

સોળ શણગારનો મહિમા

જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોળ શણગાર કરો છો તો તે આપના પતિના જીવનમાં સૌહાર્દ લાવવા માટેનો સૌથી સરળ ઉપાય મનાય છે. જો તમે આ દિવસે શણગારની સામગ્રી ખરીદીને માતા ગૌરીને અર્પણ કરો છો અને પછી તે અર્પણ કરેલી વસ્તુઓેને પોતે જ ઉપયોગમાં લો છો, તો આપનું આપના જીવનસાથીની સાથે સદૈવ માટે સામંજસ્ય અકબંધ રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles