fbpx
Monday, October 28, 2024

તમારી બેદરકારીથી દેવી મહાલક્ષ્મી નારાજ થઈ શકે છે! ભૂલથી પણ આવું ન કરો

આપણાં ઘરની સાથે જ જોડાયેલી કેટલીક નાની-નાની બાબતો દેવી લક્ષ્‍મીને નારાજ પણ કરી શકે છે ! ઘણાં ભક્તોની ફરિયાદ હોય છે કે અનેક ઉપાયો કરવા છતાં દેવી લક્ષ્‍મી તેમના પર કૃપાદૃષ્ટિ કરતાં જ નથી ! પણ, તેનું કારણ એ છે કે ભક્તો જેટલું ધ્યાન દેવી લક્ષ્‍મીની ઉપાસના પર આપે છે, તેટલું ધ્યાન જરૂરી બાબતો પર નથી આપતા !

એટલે કે ભક્તો દેવીને ખુશ કરવા માટે તો પ્રયત્ન કરે જ છે. પરંતુ, એ બાબતો પ્રત્યે બેધ્યાન બની જાય છે કે જેનાથી દેવી લક્ષ્‍મી નારાજ પણ થઈ શકે છે !

આ એ બાબતો છે કે જેનાથી ક્રોધિત થઈ દેવી લક્ષ્‍મી ઘરમાંથી જતા રહે છે ! અને જે-તે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. જેટલું મહત્વ લક્ષ્‍મીકૃપા અર્થે તેમના પૂજનનું છે, તેટલું જ મહત્વ એ વાતને ધ્યાનમાં રાખવાનું પણ છે, કે ક્યાંક આપણાથી થતું કોઈ કાર્ય દેવી લક્ષ્‍મીને નારાજ તો નથી કરી રહ્યું ને ! આવો, તે જ સંદર્ભે વિગતે જાણીએ. એવી કઈ કઈ બાબતો છે જે લક્ષ્‍મીજીને નારાજ કરી શકે છે તે વિશે માહિતી મેળવીએ. જેથી આપણે તે ભૂલ ન કરીએ.

ઘરનો ભંગાર દૂર કરવો

ઘરમાં ભંગારની વસ્તુઓ પણ ક્યારેય ન રાખવી જોઈએ ! એમાં પણ ઘરની ઉત્તર દિશામાં ક્યારેય કોઈ નકામી વસ્તુ ન પડી રહે તેનું ધ્યાન રાખવું. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તર દિશામાં કુબેર અને દેવી લક્ષ્‍મીનો વાસ મનાય છે. અને જો એ સ્થાન પર કોઈ ભંગાર કે ગંદકી રહે તો લક્ષ્‍મી-કુબેર એ ઘરનો ત્યાગ કરી દે છે.

ઘરમાં ગંદકી ન રાખવી

લૌકિક માન્યતા એવી છે કે જે ઘરમાં સતત ગંદકી રહેતી હોય ત્યાંથી નીકળી જવાનું દેવી નક્કી કરી લે છે. અને પછી ભક્તની ગમે તેટલી પ્રાર્થના છતાં દેવી નથી રોકાતા ! એટલે ઘરમાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ. અને તેને એકદમ જ સ્વચ્છ રાખવું જોઈએ.

રસોડું ચોખ્ખું રાખવું

દેવી લક્ષ્‍મી એ મૂળે તો અષ્ટલક્ષ્‍મી સ્વરૂપા છે. અને તે જ ધાન્યલક્ષ્‍મી તરીકે પૂજાય છે. ધાન્યલક્ષ્‍મી આપના ઘર પર સદૈવ પ્રસન્ન રહે તે માટે જરૂરી છે કે ઘરનું રસોડું હમેશા જ સ્વચ્છ રહે. રોજ રાત્રે રસોડું ચોખ્ખું કરીને જ સૂવું જોઈએ. તેમજ ચૂલા અથવા તો બર્નર પર ક્યારે ખાલી વાસણ ન રાખવું જોઈએ. પુરાણાનુસાર જોઈએ તો ચૂલા પર ખાલી વાસણ મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે !

સાવરણીને પગ ન લગાવવો

એક માન્યતા અનુસાર ઝાડૂ એટલે કે સાવરણીમાં પણ દેવી લક્ષ્‍મીનો વાસ રહેલો છે. જેથી સાવરણીને ક્યારેય પગથી ઠોકર ન મારવી જોઈએ. ઘરમાં સાવરણી એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તે દેખાય નહીં. એટલું જ નહીં સાવરણી ઊભી તો બિલ્કુલ જ ન રાખવી.

દહીં-ચોખા ન આરોગવા

શુક્રવાર એ દેવી લક્ષ્‍મીનો વાર મનાય છે. કહે છે કે શુક્રવારની રાત્રે ચોખા અને દહીં ન આરોગવા જોઈએ. તે લક્ષ્‍મીકૃપા પ્રાપ્ત કરવામાં અવરોધક બની શકે છે !

અન્નનો બગાડ ન કરવો

માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ભોજન સમયે અન્નનો બગાડ તો બિલ્કુલ જ ન કરવો જોઈએ. કારણ કે અન્નનો અનાદર એ લક્ષ્‍મીના અનાદર સમાન જ મનાય છે !

ચંદનને હાથથી ન ઘસવું

દેવી લક્ષ્‍મીને ચંદન ખૂબ જ પ્રિય છે. પણ, કહે છે કે ક્યારેય એક હાથેથી ચંદન ન ઘસવું જોઈએ. બે હાથેથી ચંદન લસોટીને તેને એક વાટકીમાં કાઢી લેવું જોઈએ. અને ત્યારબાદ વાટકીમાંથી ચંદન લઈને જ દેવીને તિલક કરવું જોઈએ.

લક્ષ્‍મીનારાયણની સાથે જ પૂજા કરવી

ઉલ્લેખનીય છે કે શ્રીવિષ્ણુની પૂજા વિના દેવી લક્ષ્‍મીની પૂજા અપૂર્ણ મનાય છે. એક માન્યતા અનુસાર દેવી લક્ષ્‍મી પોતાના પૂજનથી તો પ્રસન્ન થાય જ છે. પણ તેમના પતિ નારાયણની આરાધનાથી તે વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એટલે સૌથી મહત્વનું એ છે કે દેવી લક્ષ્‍મીની પૂજા હંમેશા નારાયણની સાથે જ કરવી જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles