fbpx
Thursday, October 24, 2024

શ્રીકૃષ્ણ રૂકમણીનું હરણ કરીને આ ધરા પર પધાર્યા! આજે રાત્રે અહીં થશે રૂકમણી માધવના લગ્ન!

પોરબંદરના માધવપુરમાં હાલ વિશ્વનો સૌથી મોટો વિવાહ ઉત્સવ ચાલી રહ્યો છે. આ વિવાહ ઉત્સવ એટલે તો રુકમણી-માધવના વિવાહનો ઉત્સવ. પોરબંદરના માધવપુરમાં આજે રાત્રે રુકમણી અને માધવ લગ્નગ્રંથીએ બંધાશે. ત્યારે આવો, આજે અમે તમને આ માધવપુરના મેળાનો મહિમા જણાવીએ. અને રુકમણી-માધવના લગ્નની રસપ્રદ ગાથા પણ જણાવીએ.

માધવપુરના મેળાનો મહિમા

પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં આવેલું માધવપુર ઘેડ એટલે તો શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ગામ. માન્યતા અનુસાર આ એ જ નગરી છે કે જ્યાં શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીના વિવાહ થયા હતા. એ જ કારણ છે કે અહીં દર વર્ષે ચૈત્ર સુદ નવમીથી લઈ ચૈત્ર સુદ તેરસ સુધી મેળાનું આયોજન થાય છે. જે વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવ તરીકે ઓળખાય છે. પાંચ દિવસ ચાલાનારા આ વિવાહ ઉત્સવમાં ચૈત્ર સુદ નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ સુધી રાત્રે માધવરાયજીનું ફૂલેકું નીકળે છે. રાસ-ગરબાની રમઝટ જામે છે. ચૈત્ર સુદ બારસની રાત્રીએ મધુવનમાં માધવરાય વિધિવત દેવી રુકમણી સાથે વિવાહ કરે છે. જ્યારે ચૈત્ર સુદ તેરસના દિવસે માધવપુરમાં ગુલાલ ઉડાડીને નવવધુ રુકમણીના વધામણાં કરવામાં આવે છે.

રુક્મણીનો પ્રભુને પ્રેમપત્ર !

શ્રીમદ્ ભાગવતમાં વર્ણીત રુકમણી હરણની કથા અનુસાર દેવી રુકમણી વિદર્ભ નરેશ ભિષ્મકના પુત્રી હતા. કહે છે કે વિદર્ભ આવનારા સત્પુરુષોના મુખેથી દેવી રુકમણીએ ભગવાન શ્રીકૃષ્ણની એટલી પ્રશંસાઓ સાંભળી હતી કે તે વગર જોયે જ શ્રીકૃષ્ણને હૃદય આપી બેઠાં. પરંતુ, રુકમણીના સૌથી મોટા ભાઈ રુક્મિએ તેમના વિવાહ શિશુપાલ સાથે કરાવવાનો નિર્ણય લઈ લીધો. ત્યારે દેવી રુકમણીએ શ્રીકૃષ્ણને એક પત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા તે દ્વારિકા શ્રીકૃષ્ણને પહોંચાડ્યો. પુરાણોના જાણકારો આને વિશ્વનો સર્વ પ્રથમ પ્રેમપત્ર માને છે ! કે જે દેવી રુકમણીની શાલીનતા અને અદભુત બુદ્ધિચાતુર્યનો પણ પરિચય આપે છે. આ પત્ર વાંચી ભક્તવત્સલ શ્રીકૃષ્ણ વિદર્ભ દોડી આવ્યા. મંદિરે પૂજા કરવા આવેલા રુકમણીને શ્રીકૃષ્ણએ તેમના રથમાં બેસાડ્યા, વિદ્રોહી રાજાઓને પરાસ્ત કર્યા અને પછી તે દ્વારિકા આવવા નીકળ્યા.

રુકમણીનું હરણ કરી અહીં આવ્યા હતા શ્રીકૃષ્ણ !

પ્રચલિત કથા અનુસાર દેવી રુકમણીને લઈને દ્વારિકા પહોંચતા પહેલાં શ્રીકૃષ્ણ આજના માધવપુરની સમીપે પહોંચ્યા. શ્રીકૃષ્ણ તેમના લગ્ન માટે કોઈ કુંવારી ભૂમિની શોધમાં હતા. કુંવારી ભૂમિ એટલે એવી ભૂમિ કે જેના પર કોઈ કર્મ જ ન થયું હોય. આ માટે શ્રીકૃષ્ણએ સમુદ્ર દેવતાને પ્રાર્થના કરી. અને સમુદ્ર દેવે તેમને ભૂમિ આપી. ‘માધવ’ના નામ પરથી જ તે ભૂમિ ‘માધવપુર’ના નામે પ્રસિદ્ધ થઈ.

સૌથી મોટો વિવાહોત્સવ !

દંતકથા અનુસાર ચૈત્ર સુદ નોમથી લઈ ચૈત્ર સુદ તેરસ સુધી માધવપુરની ભૂમિ પર જ રુકમણી-માધવના વિવાહની તમામ વિધિ સંપન્ન થઈ. કહે છે કે દેવી રુકમણીના માધવરાયજી સાથે લગ્ન કરાવવા સ્વયં પરમપિતા બ્રહ્મા આ ધરા પર પધાર્યા હતા. તો તમામ દેવી-દેવતાઓ પણ આ પર્વે ઉપસ્થિત રહ્યા હતા. જેને પગલે જ માધવપુરમાં દર વર્ષે ચૈત્ર માસમાં મેળો લાગે છે. અને સાથે જ વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવની ઉજવણી થાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વિશ્વના આ સૌથી મોટા વિવાહ ઉત્સવને માણવા માધવપુરમાં ભેગા થાય છે. જેમાં ચૈત્ર સુદ બારસની રાત્રીએ માધવરાય વિધિસર દેવી રુકમણિનું પાણિ ગ્રહણ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles