દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે. 24 ઓક્ટોબરે દશેરા ઉજવવામાં આવશે. અસત્ય પર સત્યની જીત પર ઉજવાતા આ તહેવારને વિજયાદશમી પણ કહેવાય છે. પ્રભુ શ્રી રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો. તેથી આજના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો આ તહેવાર મનાવે છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર રાવણને પૂજવામાં આવે છે અને તેમની મૃત્યુનો શોક પણ વ્યક્ત કરવામાં આવે છે.
રાવણમાં એવા પણ ગુણો હતા કે જેને લોકો આજે પણ સન્માન આપે છે. આવો જાણીએ કે ક્યા લક્ષણો રાવણને આજે પણ સન્માનનીય બનાવે છે.
શિવભક્ત
રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. રાવણે શિવ તાંડવ સ્ત્રોતનું નિર્માણ કર્યું હતું અને શિવના આશિર્વાદ મેળવવા ખૂબ જ તપ કર્યું હતું.
બ્રહ્મદેવના વંશજ
રાવણના પિતા ઋષિ વિશ્રવ બ્રહ્મદેવના પુત્ર પ્રજાપતિ પુલ્સત્યના પુત્ર માનવામાં આવે છે. આથી રાવણ બ્રહ્મદેવના પરપૌત્ર છે.
વેદોના જ્ઞાતા
રાવણના પિતા એક ઋષિ હતા અને માતા એક રાક્ષસી. એવું માનવામાં આવે છે કે રાવણ દુનિયાના સૌથી જ્ઞાની પુરુષોમાના એક હતા. તેઓ દરેક વેદોની સાથે વિજ્ઞાન, ગણિત, રાજકારણ અને કેટલાય શાસ્ત્રોના જ્ઞાતા હતા.
કુશળ રાજા અને રાજનિતિજ્ઞ
રામાયણમાં ઉલ્લેખ છે કે જ્યારે રાવણ મૃત્યુની નજીક હતા ત્યારે ભગવાન શ્રી રામે પોતાના નાના ભાઈ લક્ષ્મણને કહ્યું હતું કે જાઓ અને રાવણને પ્રણામ કરી તેમની પાસેથી રાજનીતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને આવો. રાવણ રાજનીતિના મોટા જ્ઞાતા હતા અને એક કુશળ રાજા હતા. તેમનું રાજ્ય એટલું સમૃદ્ધ હતું કે ગરીબ વ્યક્તિના ઘરે પણ સોનાના વાસણો હતા.
મહાન સંગીતકાર
એવું માનવામાં આવે છે કે લંકાપતિ રાવણને સંગીતનો ખૂબ શોખ હતો અને પોતે પણ કુશળ સંગીતકાર હતા. તેઓ ખૂબ જ સારી રીતે વિણા વગાડી શકતા હતા.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)