શિયાળામાં લોકો હલવા, કચોરી, પકોડા, તળેલું, તીખું, વગેરે ખાવાનું પસંદ કરે છે. આ સાથે શાકભાજી અને ફળોનું સેવન ઘટી જાય છે. ઠંડીનાં કારણે લોકો શારીરિક પ્રવૃતિઓ પણ ઓછી કરી દે છે અથવા બિલકુલ બંધ કરી દે છે. આ બધાની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.
જેના કારણે બિમારીઓનું જોખમ વધી જાય છે. શિયાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવાના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થવા લાગે છે.
શિયાળામાં કબજિયાતની સમસ્યા કેમ વધી જાય છે?
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન થવું
શિયાળાની ઋતુમાં તાપમાન એટલું ઓછું રહે છે કે લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. અથવા બહુ ઓછું પાણી પીવું પસંદ કરે છે. આ સાથે લોકો મોટાભાગે જ્યુસ, છાશ વગેરેનું સેવન પણ ઓછું કરી દે છે. આ જ કારણ છે કે શરીર હાઇડ્રેટ નથી રહેતું. જેના કારણે આંતરડામાં લુબ્રિકેશનનો અભાવ થાય છે અને કબજિયાતની સમસ્યા થાય છે.
કેફીનનું વધુ સેવન
શિયાળામાં લોકો ચા-કોફીનું સેવન ખુબ પસંદ કરે છે. તેનાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
ફાયબરનું સેવન ઘટી જવું
લોકો શિયાળામાં હલવા, કચોરી, પકોડા વગેરે વસ્તુઓનું સેવન કરે છે. આ પચાવવું થોડું મુશ્કેલ થઈ જાય છે. આ સાથે લોકો ફળ અને શાકભાજીનું સેવન ઘટાડી દે છે. જેના કારણે શરીરમાં ફાયબર ઘટી જાય છે. ફાયબરની ઉણપ પાંચન પ્રક્રિયાને અસર કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
શારીરિક પ્રવૃતિ ઓછી થવી
શિયાળામાં લોકો કસરત, યોગ, ચાલવા જવું, વગેરે જેવી અનેક શારીરિક પ્રવૃતિઓ ઓછી કરી દે છે અથવા બિલકુલ બંધ જ કરી દે છે. જેની સીધી અસર પાંચન તંત્ર પર પડે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
વધુ પડતી દવાઓનું સેવન
શિયાળામાં બિમારીઓનું જોખમ વધી જાય છે. જેમકે શરદી, ઉધરસ, કફ, તાવ અને સાંધાનો દુ:ખાવો. જેથી લોકો દવાનું સેવન કરતાં હોય છે. ઘણી વાર આ દવાઓનાં કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)