fbpx
Thursday, October 24, 2024

સંકટ ચોથ પર ચંદ્રની પૂજા શા માટે કરવામાં આવે છે? અર્ઘ્ય અર્પણનું મહત્વ જાણો

આ વર્ષે સંકટ ચોથનું વ્રત 29 જાન્યુઆરી સોમવારના રોજ છે. તે દિવસે માતાઓ તેમના બાળકોની સુરક્ષા અને સુખી જીવન માટે નિર્જળા વ્રત કરે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે, તેની પરેશાનીઓ દૂર થાય છે. જોકે, સંકટ ચોથના વ્રત દરમિયાન ચંદ્રની પૂજા કરવી અનિવાર્ય છે. શા માટે સંકટ ચોથ પર ચંદ્રની પૂજા કરવામાં આવે છે.

સંકટ ચોથના દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની વિધિ શું છે? ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાનો મંત્ર શું છે?

શા માટે આપણે સંકટ ચોથ પર ચંદ્રની પૂજા કરીએ છીએ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને વિનાયક ચતુર્થી પર ચંદ્રનું દર્શન વર્જિત છે. તેની પાછળનું કારણ ગણેશજી દ્વારા ચંદ્ર દેવને આપવામાં આવેલ શ્રાપ છે. જ્યારે ભગવાન ગણેશને હાથીનું મુખ લગાવવામાં આવ્યું ત્યારે ચંદ્રદેવ હસી રહ્યાં હતા. તેમને તેમની સુંદરતા પર ઘમંડ હતો.

ત્યારે ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો કે તે તેની ચમક ગુમાવશે અને જે કોઈ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ચંદ્રને જોશે તેને કલંક લાગી જશે. આ શ્રાપને કારણે ચંદ્રદેવ તેજહીન બની ગયા હતાં. પછી જ્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે ભગવાન ગણેશ પાસે ક્ષમા માંગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછ્યો.

ગણેશજીએ કહ્યું કે શ્રાપ દૂર નહીં થાય. પણ ચંદ્ર દેવ, શુક્લ પક્ષમાં 15 દિવસ તમારું તેજ વધશે અને પછી કૃષ્ણ પક્ષમાં 15 દિવસ સુધી ઘટશે. પૂર્ણિમાના દિવસે, તમે 16 કળાઓથી પૂર્ણ થઇને આકાશમાં ચમકશો. જે કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે વ્રત રાખે છે અને તેની પૂજા કરે છે તેણે પણ રાત્રે ચંદ્રની પૂજા કરવી પડશે. આના વિના વ્રત પૂર્ણ નહીં થાય.

અન્ય એક કથા છે. તેમાં ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે એક વરદાન આપવામાં આવ્યું હતું કે જે કોઈ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરશે અને ચંદ્રને અર્ઘ્ય ચઢાવશે તેના સંકટ દૂર થઈ જશે.

સંકટ ચોથ પર ચંદ્રમાને અર્ઘ્ય અર્પણની વિધિ

સંકટ ચોથની રાતે ચંદ્રમા 09.10 વાગ્યે નીકળશે. ત્યારે તમે ચાંદીના ગ્લાસ અથવા લોટામાં જળ ભરી લો. પછી તેમાં ગાયનું કાચુ દૂધ, અક્ષત અને સફેદ ફૂલ નાંખી દો. તે બાદ ચંદ્ર દેવનું સ્મરણ કરીને તેમને અર્ઘ્ય અર્પણ કરો. તમારા સંકટને દૂર કરવા અને સંતાનના સુખી જીવન માટે પ્રાર્થના કરો.

ચંદ્રમાને અર્ઘ્ય આપવાનો મંત્ર

ગગનાર્ણવમાણિક્ય ચંદ્ર દાક્ષાયણીપતે।
ગૃહાણાર્ઘ્યં મયા દત્તં ગણેશપ્રતિરૂપક॥

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles