હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુની પૂજા પણ તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. રોજ દરેક ઘરમાં પણ સવારે અને સાંજે તુલસીની પૂજા થાય છે. સવારે તુલસીજીને ઝાડ અર્પણ કરવામાં આવે છે અને સાંજે દીવો કરવામાં આવે છે. આમ કરવાથી સકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
તુલસીની પૂજા કરવા માટે ગુરૂવારનો દિવસ વિશેષ ગણાય છે. ગુરૂવારના દિવસે તુલસી માતાને પ્રસન્ન કરવા માટે સવારે પાઠ પૂજા કરીને તુલસીની આરતી કરવી શુભ રહે છે. ગુરુવારે આ સરળ કામ કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.
ગુરુવારે તુલસી પૂજાનું મહત્વ
ગુરૂવારના દિવસે તુલસી પૂજા કરવાથી ઘરમાં ધનની આવક વધે છે. ઘરમાં રોજ તુલસીની પૂજા કરવાથી ઘરના લોકો નિરોગી રહે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. આ સિવાય ગુરૂવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક બમણી થઈ જાય છે.
ગુરુવારે કરવાના તુલસીના ઉપાય
જો તમારું ધન અટકેલું છે અને તમને પરત મળતું નથી તો ગુરૂવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં તુલસીના 10 પાન ઉમેરી દેવા. સાથે જ ચપટી હળદર પણ ઉમેરી આ પાણીથી સ્નાન કરવું. આમ કરવાથી આર્થિક લાભ મળવાની શરૂઆત થશે.
ગુરૂવારના દિવસે તુલસીજીમાં જળ અચૂક અર્પણ કરવું. તુલસીના જળ અર્પણ કરો તે પહેલા સૂર્યદેવને જળ અર્પણ કરવું. જળ અર્પણ કર્યા પછી તુલસીની 3 પરિક્રમા કરવી.
તુલસીના જે પાન સુકાઈ જાય તેને ફેંકવાને બદલે એક લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખવા જોઈએ. પર્સમાં રાખવાથી ધનની ખામી થતી નથી. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને ઘરમાં રાખવો નહીં તેને કાઢીને નદીમાં પ્રવાહિત કરી દેવો.
જો તમને કામમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય અથવા તો આર્થિક નુકસાન થતું હોય તો ગુરૂવારના દિવસે તુલસીના છોડમાં રક્ષા સૂત્ર બાંધવું. આ રક્ષા સુત્રની 7 ગાંઠ વાળવી. જ્યારે તમારા કાર્ય પૂર્ણ થવા લાગે તો બધી જ ગાંઠ ખોલી દેવી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)